Psalms 78

1મારા લોકો, મારો નિયમ સાંભળો,
મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.
2હું ડહાપણ વિશેનું ગીત ગાઈશ;
હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ કે,

3જે વાત આપણે સાંભળી છે તથા શીખ્યા છીએ

જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.
4યહોવાહનાં સ્તોત્ર, તેમનું સામર્થ્ય
તથા તેમનાં કરેલાં આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને
તેઓના વંશજોથી આપણે તે સંતાડીશું નહિ.

5કારણ કે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો

અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો.
તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી
કે તેઓ પોતાનાં બાળકોને પણ શીખવે.
6જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે,
તેઓ મોટાં થઈને પોતાનાં સંતાનોને તે જણાવે, માટે તેમણે આજ્ઞા આપી છે.

7જેથી તેઓ સહુ ઈશ્વરની આશા રાખે

અને તેમનાં અદ્દભુત કાર્યોને વીસરી જાય નહિ,
પણ તેમની આજ્ઞાઓને પાળે.
8પછી તેઓ પોતાના પૂર્વજોના જેવા ન થાય,
કે જેઓ હઠીલા તથા બંડખોર પેઢીના છે,
એવી પેઢી કે જેઓનાં હૃદય સ્થિર નથી
અને જેઓનો આત્મા સમર્પિત કે ઈશ્વરને વિશ્વાસુ નથી.

9એફ્રાઇમના લોકો શસ્ત્રસજ્જિત ધનુર્ધારી હોવા છતાં

પણ લડાઈના દિવસમાં પાછા હઠી ગયા.
10તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ
અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.
11તેમણે કરેલાં અદ્દભુત કાર્યો,
ચમત્કારો તેમણે તેઓને બતાવ્યા હતા તે તેઓ ભૂલી ગયા.

12મિસર દેશમાં, સોઆનનાં ક્ષેત્રમાં,

તેઓના પૂર્વજોની આગળ તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં.
13તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેઓને પાર બહાર લાવ્યા;
તેમણે દીવાલની જેમ પાણીને સ્થિર રાખ્યાં.
14તે તેઓને દિવસે મેઘથી
અને આખી રાત અગ્નિના પ્રકાશથી દોરતા.

15તેમણે અરણ્યમાં ખડકને તોડીને

અને ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.
16તેમણે ખડકમાંથી પાણીની ધારો કાઢી
અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.

17તેમ છતાં તેઓએ તેમની વિરુદ્ધ પાપ કરવાનું ચાલુ જ રાખ્યું,

અરણ્યમાં પરાત્પરની વિરુદ્ધ તેઓ બંડ કરતા રહ્યા.
18પોતાના ખાઉધરાપણાને વશ થઈને ખોરાક માગીને તેઓએ પોતાના
હૃદયથી ઈશ્વરની પરીક્ષા કરી.

19તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા;

તેઓએ કહ્યું, “શું અરણ્યમાં ઈશ્વર મેજ તૈયાર કરી શકે?
20જુઓ, જ્યારે તેમણે ખડકને લાકડી મારી, ત્યારે પાણી વહી આવ્યું
અને પાણીનાં ઝરણાં વહેવા માંડ્યાં.
પણ શું તે આપણને રોટલી આપી શકે છે?
શું તે પોતાના લોકોને માટે માંસ પૂરું પાડી શકશે?”

21જ્યારે યહોવાહે આ સાંભળ્યું, ત્યારે તેઓ ગુસ્સે થયા;

તેથી યાકૂબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઊઠ્યો
અને ઇઝરાયલ પર તેમનો કોપ ભભૂક્યો,
22કારણ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ
અને તેમના દ્વારા મળતા ઉદ્ધાર પર ભરોસો રાખ્યો નહિ.

23છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી

અને આકાશનાં દ્વાર ખોલી નાખ્યાં.
24તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી
અને તેમણે સ્વર્ગમાંથી ભોજન આપ્યું.
25લોકોએ દૂતોનો ખોરાક ખાધો.
અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી તેમણે ભોજન આપ્યું.

26તેમણે આકાશમાં પૂર્વ તરફથી પવન ફુંકાવ્યો

અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી પવન ફુંકાવ્યો.
27તેમણે ધૂળની જેમ માંસ
અને સમુદ્રની રેતીની જેમ પીંછાવાળા પક્ષીઓ તેઓના પર વરસાવ્યાં.
28તેમણે તેઓની છાવણી મધ્યે
અને તેઓના તંબુઓની ચારેબાજુએ તે પાડ્યાં.

29લોકો ધરાઈ રહ્યા ત્યાં સુધી ખાધું.

તેઓના માગ્યા પ્રમાણે તેમણે આપ્યું.
30પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યા નહિ;
તેઓનો ખોરાક તેઓના મુખમાં જ હતો,

31એટલામાં, ઈશ્વરનો કોપ તેઓ પર પ્રગટ્યો

અને તેઓમાંના હુષ્ટપુષ્ટોને મારી નાખ્યા.
32આમ છતાં, તેઓ પાપ કરતા રહ્યા
અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.

33માટે ઈશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં સમાપ્ત કર્યા;

અને તેઓનાં વર્ષોને ત્રાસથી ભર્યાં.
34જ્યારે જ્યારે ઈશ્વરે તેઓને દુઃખી કર્યા, ત્યારે તેઓએ તેમને શોધ્યા
અને તેઓ પાછા ફરીને આતુરતાથી તેમને શરણે આવ્યા.

35તેઓએ યાદ કર્યુ કે ઈશ્વર તેઓના ખડક છે

અને પરાત્પર ઈશ્વર તે જ તેઓના છોડાવનાર છે.
36પણ તેઓએ પોતાના મુખે તેમની પ્રશંસા કરી
અને પોતાની જીભે તેમની સમક્ષ જૂઠું બોલ્યા.
37કેમ કે તેઓનાં હૃદય તેમના પ્રત્યે વિશ્વાસુ નહોતાં
અને તેઓ તેમના કરાર પ્રત્યે વફાદાર નહોતા.

38તેમ છતાં તેમણે, દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી અને તેઓનો નાશ ન કર્યો.

હા, ઘણીવાર તેમણે પોતાનો ક્રોધ સમાવી દીધો
અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.

39તેમણે સંભાર્યુ કે તેઓ દેહથી બનેલા છે

એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.
40તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની વિરુદ્ધ બંડ કર્યું
અને રાનમાં તેમને દુ:ખી કર્યા!
41વારંવાર તેઓએ ઈશ્વરની કસોટી કરી
અને ઇઝરાયલના પવિત્ર પ્રભુને દુ:ખી કર્યા.

42તેઓ તેમનાં મહાન સામર્થ્યનો વિચાર કર્યો નહિ,

તેમણે કેવી રીતે તેઓને શત્રુઓથી છોડાવ્યા, તે પણ યાદ કર્યું નહિ.
43મિસરમાં તેમણે જે ચમત્કારિક ચિહ્નો
અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા.

44તેમણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને લોહી વહેતાં બનાવી દીધાં

જેથી તેઓ તે ઝરણામાંથી પી શકે નહિ.
45તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, તે મધમાખીઓ તેઓને કરડી
અને દેડકાઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
46તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી
અને તેઓની મહેનતનું ફળ તીડને આપી દીધું.

47તેમણે કરાથી તેઓની દ્રાક્ષવાડીઓ

અને હિમથી તેઓનાં ગુલ્લરવૃક્ષોનો નાશ કર્યો હતો.
48તેમણે તેઓનાં જાનવર કરાને
અને તેઓનાં ટોળાં વીજળીને સ્વાધીન કર્યા.
49તેમણે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો,
તેમણે રોષ, ગુસ્સો અને તિરસ્કાર તેઓની વિરુદ્ધ
સંહારક દૂતોની માફક મોકલ્યા.

50તેમણે પોતાના કોપ માટે રસ્તો ખુલ્લો કર્યો;

તેમણે મરણથી તેઓના પ્રાણ બચાવ્યા નહિ
પણ તેઓના પર મરકી મોકલી.
51તેમણે મિસરમાં સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા;
હામના તંબુઓમાં તેઓના પ્રથમ પ્રથમજનિત નરબાળકોને માર્યા.

52તે પોતાના લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ બહાર લાવ્યાં

અને તેમણે અરણ્યમાં થઈને તેઓને ટોળાંની જેમ દોર્યા.
53તેમણે તેઓને એવા સુરક્ષિત ચલાવ્યા કે તેઓ બીધા નહિ,
પણ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.

54અને તેમણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં,

એટલે તેમને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં પોતાના લોકોને લાવ્યા.
55તેમણે તેઓની આગળથી વિદેશીઓને કાઢી મૂક્યા
અને જમીન માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા
અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા.

56તોપણ તેઓએ પરાત્પર ઈશ્વરની કસોટી કરવાનું

તથા તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓ પાળી નહિ.
57તેઓ તેમના પૂર્વજોની જેમ પાછા ફરી જઈને અવિશ્વાસુઓની જેમ વર્તવા લાગ્યા;
વાંકા ધનુષ્યના બાણની જેમ તેઓ આડે રસ્તે ચઢ્યા.

58કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચાસ્થાનો બનાવીને

અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ગુસ્સો ઉત્પન્ન કર્યો.
59જ્યારે ઈશ્વરે એ સાંભળ્યું, ત્યારે તે ગુસ્સે થયા
અને ઇઝરાયલનો પૂરેપૂરો નકાર કર્યો.

60તેથી તેમણે શીલોહનો માંડવો

એટલે જે તંબુ તેમણે માણસોમાં ઊભો કર્યો હતો, તેનો ત્યાગ કર્યો.
61તેમણે પોતાનું સામર્થ્ય બંધનમાં
અને પોતાનું ગૌરવ શત્રુના હાથમાં સોંપ્યા.

62તેમણે પોતાના લોકોને તરવારને સ્વાધીન કર્યા

અને પોતાના વારસા પર તે કોપાયમાન થયા.
63તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યા
અને તેઓની કન્યાઓના લગ્નમાં ગીત ગાવામાં આવ્યાં નહિ.

64તેઓના યાજકો તરવારથી માર્યા ગયા

અને તેઓની વિધવાઓએ કંઈ રુદન કર્યું નહિ.
65જેમ કોઈ ઊંઘમાંથી જાગે, તેમ, દ્રાક્ષારસના કેફથી
શૂરવીર પુરુષની જેમ પ્રભુ ઊઠ્યા.
66તેમણે પાછળથી પોતાના શત્રુઓને માર્યા;
તેમણે તેઓને સદાને માટે શરમિંદા કર્યા.

67તેમણે યૂસફના તંબુનો નકાર કર્યો

અને એફાઇમના કુળનો સ્વીકાર કર્યો નહિ.
68તેમણે યહૂદાના કુળને
અને પોતાના પ્રિય સિયોન પર્વતને, પસંદ કર્યા.
69તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી પૃથ્વી જેવું
અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.

70તેમણે વાડામાંથી ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને

પોતાના સેવક તરીકે પસંદ કર્યો.
71દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો, ત્યાંથી તેમના લોકો યાકૂબના સંતાનનું તથા
તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.
દાઉદે તેમને શુદ્ધ હૃદયથી
અને કૌશલ્યસભર શાણપણથી દોર્યા.
72

Copyright information for GujULB